મધર્સ ડે માતાના નામ અને ભારતીય સંસ્કારોથી બન્યું મા પર્વ



વિશ્વભરમાં ઉજવાતા મધર્સ ડે ને અમેરિકાથી પરત ફરેલા ડોક્ટરએ ભારતીય સંસ્કારો, સનાતન ધર્મ અને નૈતિક મૂલ્યોને સંકલિત કરીને ત્રીસ દિવસીય ‘મા પર્વ’ તહેવારનું સ્વરૂપ આપ્યું. જે માટે ‘માતૃદેવો ભવઃ’ ના વૈદિક સૂત્રથી મધર્સ ડે નિમિતે સૌ સેવા કાર્યો તેમણે ડૉ. કૃપેશ નયના શશીકાંત તરીકે તેમની માતાના નામ સાથે ઉજવવાની પહેલ કરી અને માતા પિતાના નામ સાથે ઓળખ સ્થાપિત કરનાર પ્રથમ ભારતીય બન્યા.
મૂળ કચ્છના વતની ડૉ. કૃપેશ કે જેઓ સાત વર્ષ અમેરિકામાં રહી માતા, માતૃભૂમિ અને માતૃભાષાનું ઋણ અદા કરવા ભારત પાછા ફર્યા, તેમણે પુનરાગમન બાદ ભારતમાં ઉજવાતા પાશ્ચાત્ય સંસ્કૃતિના તહેવારોને સનાતન સંસ્કારો સાથે ઉજવવા ગીવ વાચા ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ સંસ્થા વર્ષ 2014 થી પાશ્ચાત્ય સંસ્કૃતિથી ઉજવાતા દિવસોને ભારતીય સંસ્કૃતિ સાથે અનેરા સ્વરૂપમાં પ્રસ્તુત કરે છે. આ પર્વની શરૂઆત તા. ૧૫ એપ્રિલ એ ગીવ વાચા સેન્ટર અંજાર ખાતે સંસ્થાના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો એ માતૃ પૂજન સાથે કરી, તો પુર્ણાહુતી 14 મે ના વંદે માતરમ મેમોરીયલ, ભુજોડી ખાતે ભારત માતા અને ધરતી માતાની વંદના સાથે કરવામાં આવી. આ ત્રીસ દિવસીય પર્વ અંતર્ગત ફક્ત એક માતા નહિ પણ સનાતન સંસ્કૃતિ પર આધારિત ડૉ. કૃપેશના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ અનુસાર ‘માતૃ દેવો ભવઃ’ ના સુત્ર સાથે માતાના અગિયાર રૂપો એટલે કે મા, ગીતા માતા, ગૌ માતા, તુલસી માતા, માતૃભાષા, શિક્ષિકા, માતૃભૂમિ, ભારત માતા, લોકમાતા (નદીઓ), ધરતી માતા અને દેવી મા એમ વિવિધ સ્વરૂપોની વંદના અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરવા અનેકવિધ કાર્યક્રમો થયા; જેમાં સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો, કવિ સંમેલનો, ગૌશાળામાં ગૂંજે ગીતા, વૃદ્ધાશ્રમમાં માતૃપૂજા તથા ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવા સ્વાસ્થ્ય સંબંધિત પરિયોજનાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની વિશિષ્ટતા એ હતી કે વિશ્વમાં સૌ પ્રથમ વખત કોઈ લેખકે પુસ્તક પ્રકાશિત થતા પહેલા તેમાં દર્શાવેલા સંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનું સામાજિક સ્તરે અમલીકરણ કર્યું હોય.
પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ પૂજા કૃપેશ, ધ નોટેશન ગર્લ વાચા પૂજા કૃપેશ, ડૉ. પૂજા પ્રવિણા જગદીશ તથા ડૉ. કૃપેશએ આ ત્રીસ દિવસોમાં પંદર જેટલા સંગીતમય ગૂંજે ગીતાના કાર્યક્રમો વિવિધ શહેરોમાં રજુ કર્યા. ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ કલબના સદસ્યોએ કલમ થકી યોગદાન આપ્યું તો સ્વયંસેવકોએ સંસ્થાના જે તે શહેરના ગીફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર તરીકે માતાના નામ સાથે જોડાઈને સેવા કરી. ગીવ વાચા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન દિવાળીબેન જેઠાલાલ અને ડૉ. શશીકાંત દેવકાબા ઉમરશી એ મધર્સ ડે, ઇન્ડિયન વે ની આ નવી વિચારધારામાં મા પર્વ દરમિયાન સંલગ્ન થયેલી સંસ્થાઓ અને લોકોનું હૃદયથી આભાર માન્યું છે. આમ એક પરિવારે શરુ કરેલ આ પરંપરા વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ફક્ત પારિવારિક ના રહેતા વૈશ્વિક બની છે.



