Arjun Uvacha: The Spiritual Yatra Book Review by Madankumar Anjaria
Book Review by: Madankumar Anjaria ‘Khwab’
આજે આપણે એક એવી વાત કરવાની છે જે વિભુની વાત છે, પ્રભુની વાત છે. એવી વાત તો એ જ કરી શકે જેના ઉપર ઈશ્વરની કૃપા હોય. ‘ઈશ’ ની ‘કૃપા’ એટલેકે ‘કૃપા-ઈશ’ એટલે કે ‘કૃપેશ’. જી હા! ડૉ. કૃપેશ ઠક્કર એમણે કૃષ્ણભક્તિની અલગ ઢબે સાધના કરી છે અને એક પરિપાક રૂપે એમણે ‘અર્જુન ઉવાચ’ નામનું પુસ્તક આપણને આપ્યું છે, જે હટકે છે, અલગ અલાયદા ભાવ સાથે આપણી વચ્ચે આવે છે. કૃપેશભાઈએ જે રીતે પુસ્તકનું આયોજન કર્યું છે એ તો સરાહનીય છે જ, સ્તુત્ય છે જ. આ પુસ્તક કેવળ ચર્ચા-વિચારણા નથી પણ એ તો અંતરયાત્રા છે અને અંતરયાત્રા કદી પણ નિષ્ફળ નથી જતી. કહું કે અંતરયાત્રા પરથી પાછા ફરવું પડતું નથી. ‘યાત્રા’ શબ્દ જ એક અલગ મનની ‘માત્રા’ સૂચવે છે. કાકાસાહેબ કાલેલકર અહી યાદ આવે છે એમણે કહેલું કે “માણસ પગથી ચાલે તે પ્રવાસ, સમુહમાં ચાલે તે સમાજ અને હૃદયથી ચાલે તે યાત્રા…”
હૃદયયાત્રી ડૉ. કૃપેશભાઈને અભિનંદન અને મજાની વાત છે ઘણી વખત કોઈ વિશિષ્ટ વિષય પાર વાત થાય ત્યારે વિવાદ થાય, ચર્ચા થાય, ઘણું બધું થતું હોય છે પણ અહી વિવાદ નથી, સંવાદ છે. પિતા-પુત્રી વચ્ચેનો સંવાદ, સર્જક અને ભાવક વચ્ચેનો સંવાદ. કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ અને એ રીતે વાત આથી આગળ વધે છે ત્યારે જુદા જુદા પ્રકરણોમાં ડૉ. કૃપેશ ઠક્કરે એક આખી મીમાંસા કરી છે એ આખી ચર્ચા એવી રીતે કરી છે કે કૃષ્ણ પ્રત્યેની આપણી ભક્તિ પ્રબળ બને છે, પ્રબળ જ છે એમાં અધિક પ્રાબલ્ય ઉમેરાય…
વાંસળી- કૃષ્ણનું મહાન પ્રતિક. રમ્ય, મધુર, સુરમ્ય, સુમધુર પ્રતિક છે. વાંસળીએ કૃષ્ણને પૂછ્યું કે “રે તારામાં તો ગણા બધાં છેદ છે તોય તું સુમધુર સંગીત, સુરાવલી છેડી શકે છે? વાદ્ય છેડી શકે છે?” ત્યારે વાંસળીએ હસીને જવાબ આપ્યો “મારામાં છેદ છે પણ ખેદ નથી.” ખેદ ના હોય તો છેદોની વચ્ચે પણ લોકો ગાઈ શકે. ગીતા ગાયક કૃષ્ણ એમ કહે છે અને હા! કૃષ્ણ ગીતા વાહક નથી, ગીતા ગાયક છે અને ગીતાના મીમાંસક છે, ગીતાના સર્જક છે, ઉદબોધક છે. ત્યારે અહી ગણું બધું લખાયું છે પરંતુ કૃપેશભાઈ આગવી ઢબે ગીતા વાહક થઈને લખ્યું છે.

વાંસળીને જયારે પૂછ્યું કે “તારામાં છેદ છે તોય તું ગાય છે.” ત્યારે ફરી વાંસળી એવો જવાબ પણ આપે છે કે “જેને કૃષ્ણના હોઠોનું ચુંબન સ્પર્શ થયું હોય એનું વાયુ સાંપડે તો સુરાવલી જ હોય ને! એમાં છેદ, ભેદ કે ખેદ કેવા?” કૃષ્ણ વક્તા છે અને જુઓ અહી કેવી વાત થઇ છે પરમવક્તા, મહાવાકતા અને અર્જુન અહી આ પુસ્તકમાં પ્રવક્તા બને છે કારણકે “અર્જુન ઉવાચ” જે કૃષ્ણજી પાસેથી એણે સાંભળ્યું એનું સરલીકરણ અહી ‘અર્જુન ઉવાચ’ દ્વારા કૃપેશભાઈ એ કર્યું છે.
અને કહોકે ગીતાજી તો કર્મસંહિતા છે. જી હા! ગીતાજી કર્મસંહિતા છે, વિશિષ્ટ પુસ્તક છે એટલે જ એ અમર છે. જુઓ તમે ગીતા જયંતિ છે, ગીતા નિર્વાણ તિથિ કદી આવતી જોઈ? ના, એ અજર-અમર છે, અવિનાશી, અનાદી-અનંત પણ ગણાય અને કૃષ્ણ, કૃષ્ણ કોઈ રાજકારણી નથી, રાજજ્ઞાની છે એ તથ્ય પણ કૃપેશભાઈની વાતોમાંથી પરોક્ષ રીતે સાંપડે છે. એથી જ આવા પુસ્તકો વિશે વિવાદ ના હોય, સમીક્ષા, આલોચના ના હોય, ચકચાર ના હોય, ચરવણા હોય કેમકે કૃપેશભાઈની આ કિતાબમાં તર્ક નથી, અર્ક છે. જી હા! એસેન્સ છે, સારાંશ છે, સાર છે. કચ્છીમાં તો મોરલી વિશે વાંસળી વિશે એમેય કેવું પડે “ મોરલી ત આય તત હુંધો વજાઈન્ધલ કાન, ગોતીયો ત મલ્ધો ગોકલ ગજાઈન્ધલ કાન…” ગોતવા પડે, શોધવા પડે, તલાશ કરવી પડે, તપાસ કરવી પડે. તપાસ કરાય દોસ્ત! ઉલટતપાસ નહી.
‘અર્જુન ઉવાચ’ માં અર્જુનને વાચા મળી છે પણ અહી સર્જક કૃપેશભાઈ ને તો સાક્ષાત વાચા મળી છે પુત્રીરૂપે અને એ ધન્યતા પુસ્તકમાં અત્ર-તત્ર-સર્વત્ર ઝળહળી રહી છે. આપણે ટચલી આંગળીનો ઉપયોગ કિટ્ટા કરવામાં કરીએ. કોઇથી અબોલા કરવા હોયતો ટચલી આંગળી ધરીએ અને કહીએ કે “જા… તારાથી કિટ્ટા.” પરંતુ કૃષ્ણ ભગવાન તો ટચલી આંગળી પાર ગોવર્ધન પર્વત ધારણ કરે છે. આ પ્રતિક છે. આ કોઈ સાધારણ વાત નથી. પર્વતને ઉંચો કરવો, એનું વજન શું? એનો વિવાદ ના કરાય. આ તો સિમ્બોલિક છે, સંવેદનાત્મક છે. સુક્ષ્મ છે, સ્થૂળ નથી. આ તો એવું છે ને કે કૃષ્ણને જે ગમે એ જગા, એ વસ્તુ, એ વ્યક્તિ, એ સ્થાન મહાપવિત્ર થઇ જાય. જુઓને જે મામુલી હોય તે મહામુલી થઇ જાય. અરે! ધૂળ પણ ગોધૂલિ થઇ જાય, વહાલાને વહાલી ગાયના ચરણસ્પર્શ થકી રજ પણ ગોરજ થઇ જાય. સીધો સીધો મોર આવ્યો તો સરસ્વતીજીએ કહ્યું “બેસ, તું મારા પગ પાસે સ્થાન લે.” મોરને ત્યાં પગ પાસે બેસવું પડ્યું કારણકે એને થોડું ઘમંડ હતું પોતાના રૂપનો, પોતાના પ્રભાવનો ઘમંડ હતો. પરંતુ એકલું મોરપીંછ રંગમસ્ત, હળવું-હળવું, ઉડતું ઉડતું આવ્યું તો કૃષ્ણ ભગવાને એણે શિરોધાર્ય કર્યું, મુગુટમાં સ્થાન આપ્યું. હળવાશને તો હરિ પણ શિરોધાર્ય કરે. એ જ હળવાશ અહી કૃપેશભાઈ એ અહી લીધી છે. સરળતાથી વાતો કરી છે, કોઈ ગહન-દોહન, ચર્ચા, વિવેચન કઈ જ નથી કર્યું. બહુ જ સહજ ભાષામાં સંવાદના ભાવ રૂપે, વાતો રૂપે સરળતાથી હળવાશથી એમણે વાતો કારી છે. તેથી જ એ અર્થઘટન બહુ સુંદર બને છે. આ વાગોળવા જેવું નહી ચરવણા કરવા જેવું પુસ્તક છે. આ વિશે હું તો એમ કહું કે અલગ રીતે વિચારણા બેઠક યોજવી જોઈએ.પછીથી એમાંથી બીજા પુસ્તકો પણ નીકળે, એક દાણો રોપીએ તો હજારો દાણા મળે, એમ એક પુસ્તકનો વિમોચન થાય તો હજાર વાચક મળે અને વાચક એ જ સાચો પાચક છે એ જ સાચો વિવેચક છે એ જ વિમોચક છે પુસ્તકનો. એમ હું ડૉ. કૃપેશને વંદન કરું છું સાથે સાથે અશોર્વાદ પણ સમાંતર રીતે આપું છું. કારણકે આવું કાર્ય કરનાર વંદનીય છે અને આશિષ ને પાત્ર પણ છે. કોઈ તમને પૂછે કે “તમે કૃષ્ણને જોયા છે?” તો એમ થાય કે “ના મેં કૃષ્ણને નથી જોયા.” સત્ય તો એમ છે કે કૃષ્ણ આપણને જુએ છે. આપણે કૃષ્ણને નથી જોયા પણ કૃષ્ણ આપણને સતત જુએ છે. ઘણી વખત તો આપણે કોઈ કામ કરીએ ને ત્યારે એમ વિચારીયે કે કોઈ જોતું તો નથીને ચુપ-ચાપ આ કાર્ય કારી લઉં. શાંતિ થી કારી લઉં જેથી કોઈને ખબર ના પડે પણ સારો અસ્વાદક સારો વિચારક એમ સારું કામ કરતી વેળા સત્કર્મ ગીતાયોગનું કર્મ કરતી વેળા એમ તપાસ કરે કે કોઈ રોતું તો નથીને… બસ કોઈના આંસુ લુચવાની પ્રક્રિયા એ જ સાચું કર્મયોગ છે. એટલે કહોકે નારી આંખે ના જોઈ શકાય પણ ખરી આંખે તો જરુર જોઈ શકાય કૃષ્ણ, કારણકે દર્શનનો વિષય છે પ્રદર્શનનો નથી. કેવળ મૂર્તિ સજાવીને એના ફોટા પાડવા એવું નથી એની આરતી ઉતારવી નથી. કૃષ્ણ જીના તો ચરણોમાં ચુંબન કરાય વંદન કરાય, એ જ રીતે એમ કેહવા દો આ કૃષ્ણજી તો વાતાવરણમાં વ્યાપ્ત ક્યાં ગોઠવ્યો છે કેમેરા એ ખબર નથી પણ સીસીટીવી કેમેરા છે. આપણા પ્રત્યેક કર્મને આ કેમેરા જુએ છે એમ ધરી લઈશું ને તો ચોક્કસ કોઈ અપ્કારમાં નહી થાય, કુકરમાં નહી થાય, ખરાબ કાર્ય નહી થાય. ગીતાજી જે કર્મની ગાથા વર્ણવે છે એ તથાસ્તુ થશે. આપણે એના કર્મ વાહક બનીશું. નાહક નહી, વાહક બનીએ.
સંગીતમય પ્રસ્તુતિ
આ પુસ્તકમાં વણાયેલા ગીતો લેખક ડૉ. કૃપેશસંગીતબ ઠક્કર એ પોતાના આલ્બમ “ક્યાં છે કાનો?” માં સંગીતકાર અને ગાયક સ્વરૂપે રજુ કર્યાં છે.
To listen to Kyan Che Kano.
VERDICT
હૃદયયાત્રી ડૉ. કૃપેશભાઈને અભિનંદન અને મજાની વાત છે ઘણી વખત કોઈ વિશિષ્ટ વિષય પાર વાત થાય ત્યારે વિવાદ થાય, ચર્ચા થાય, ઘણું બધું થતું હોય છે પણ અહી વિવાદ નથી, સંવાદ છે. પિતા-પુત્રી વચ્ચેનો સંવાદ, સર્જક અને ભાવક વચ્ચેનો સંવાદ. કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ અને ચર્ચા એવી રીતે કરી છે કે કૃષ્ણ પ્રત્યેની આપણી ભક્તિ પ્રબળ બને છે, પ્રબળ જ છે એમાં અધિક પ્રાબલ્ય ઉમેરાય…
Writer’s Rating: 4.5/5
The book has been already featured in Amazon’s bestsellers in various categories including Bhagavad Gita, Gujarati eBooks, and Spiritual Self-Help books.



CHECK THE REVIEW BY DR. RAMESH BHATT “RASHMI”
PUBLISHER
Give Vacha Foundation and Krup Music Publishing.